ભગવદ્ ગોમંડળ કોશના પ્રણેતા ગોંડલનરેશ ભગવતસિંહજી

0
Jidiya Sanjay , Create a Blog



ગોંડલનરેશ ભગવતસિંહજી



ભગવદ્ ગોમંડળ કોશના પ્રણેતા :-


જન્મ : 24/10/1865 


જન્મસ્થળ :ધોરાજી (સૌરાષ્ટ્ર)


અવસાન : 1945 






ભારત દેશને ઈસવીસન 1947 માં સ્વતંત્રતા મળી તે પહેલા દેશમાં અનેક દેશી રાજ્યો હતા. આ પ્રદેશોમાં રાજાઓનું રાજ્ય હતું. તેમની સત્તા એકહથ્થુ હતી. રાજાઓ મનસ્વી રીતે વર્તતા, પરંતુ તેમાં કેટલાક અપવાદ પણ હતા. આ અપવાદોમાં એક ગોંડલ રાજ્યના મહારાજા ભગવતસિંહજી પણ હતા.


કવિવર ન્હાનાલાલના થોડા વાક્યોથી ભગવતસિંહજીના શાસનકાળની ઝાંખી થઈ શકે છે: 

"ગોંડલ રાજ્યની જમાવટ ભા કુંભાજીએ કીધી. ગોંડલને આજના જમાનાનું કીધું મહારાજ ભગવતે. ગોંડલમાં આજે ખેડૂત અઘાટ જમીનના હક્ક ભોગવે છે. છેલ્લા 45 વર્ષથી રાજકુટુંબ સાલિયાણું બાંધીને વર્તે છે. અનેક કરવેરા માફ થયા છે,દાણ નથી, કાઠિયાવાડમાં રેલ્વે બાંધી, રાજ્યમાં પાકી સડકો કીધી, નાના ગરાશિયાઓ માટે  કોલેજ સ્થાપી. મેટ્રિકનો સાત વર્ષનો અભ્યાસક્રમ પાંચ વર્ષમાં શીખવવાનો અખતરો કીધો હતો. નદીના બે કાંઠાઓની રોનક જુના આગ્રાની યાદ આપે છે. કચ્છ ,કાઠીયાવાડ કે ગુજરાતમાં અને  કદાચ સારાય ભારત ખંડમાં ગોંડલના જેટલા ઓછા કરવેરાવાળું દેશી કે અંગ્રેજી રાજ્ય નહીં હોય. કુંભાજી કહેતા હતા કે , ખેડૂત મ્હારા સોનાના ઝાડ છે. આજે મહારાજ ભગવત કહે છે કે એ ઝાડવે મોતી પકવો અને માણો."


ગોંડલ ઠાકોર સંગ્રામસિંહજી તથા તેમના રાણી મોંઘીબા સ્વામિનારાયણ ધર્મ પાળતા. તેથી પોતાના પુત્રનું ભગવતસિંહજી નામકરણ તેમણે સ .ગુ . ગુણાતીતાનંદ સ્વામી પાસે કરાવેલું. પુત્ર ચાર વર્ષનો જ થયો ત્યાં પિતા સંગ્રામસિંહજી દેવ થયા. ભગવતસિંહજી સગીર હોવાથી નિયમ મુજબ ગોંડલ રાજ્ય રાજકોટ એજન્સીના વહીવટ હેઠળ મૂકાયુ. અંગ્રેજી સત્તાને આધીન રહી ભગવતસિંહજીનો અભ્યાસ રાજકોટની રાજકુમાર કોલેજમાં થયો. આમ છતાં માતા મોંઘીબાએ તેમની કેળવણીમાં જાતે રસ લીધો. તે વખતના રાજકારણમાં ઘણા બાહોશ સન્નારી તરીકે તેમની છાપ હતી.

ઈસવીસન ૧૮૮૩માં કોલેજનું શિક્ષણ પૂરું કરી ભગવતસિંહજીએ યુરોપની સફર કરી. 1884માં ઉંમરલાયક થતાં તેઓ રાજ્યની ગાદીએ બેઠા. સંસ્કાર અને કેળવણીને કારણે તેમનામાં મહત્વાકાંક્ષાના બીજ તો નાનપણથી જ રોપાયા હતા. ઉપરાંત યુરોપની યાત્રાને કારણે પરદેશોની પ્રગતિ પ્રત્યક્ષ જોઈને તેમને પોતાને વધુ જ્ઞાન મેળવવાની ઇચ્છા થઈ. તેથી રાજ્યકારભાર દિવાનને સોંપીને તેઓ ઇંગ્લેન્ડ તથા સ્કોટલેન્ડની એડિનબરો યુનિવર્સિટીમાં તબીબી અભ્યાસ કરીને એમ. ડી. થયા. ભારતીય રસાયણશાસ્ત્ર પર તેમણે સંશોધન મહાનિબંધનો જે ગ્રંથ પ્રગટ કર્યો તે તદ્વિદોમાં ઘણી પ્રશંસા પામ્યો. તેની કદરરૂપે મુંબઈ યુનિવર્સિટીએ તેમને ફેલોની, એડિનબરો યુનિવર્સિટીએ એલ .એલ.ડી તથા આર પી. પી. ની તેમ જ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ડી. સી. એ. લી. ની માનભરી પદવીઓ આપેલી.

ઇંગ્લેન્ડમાં પોતાના નિવાસ દરમ્યાન મોજશોખમાં રચ્યાપચ્યા ન  રહેતા ત્યાંની તેમજ પોતાના દેશની પરિસ્થિતિનો તેમણે અભ્યાસપૂર્ણ કયાસ કાઢયો હતો. ઇંગ્લેન્ડના ઔદ્યોગિક નગરો જોઇને એમને ભારતમાં ઔદ્યોગિક વિકાસની આવશ્યકતા સમજાઇ હતી. સેવાભાવની જે પ્રવૃત્તિઓ વિદેશોમાં ચાલે છે એ પ્રવૃત્તિઓ તરફ તેમને આકર્ષણ હતું.


ગોંડલની ગાદીએ બેઠા પછી પહેલે જ વર્ષે તેમણે ધોરાજીમાં હોસ્પિટલનો પાયો નાખ્યો. એક હુન્નરશાળાની સ્થાપના કરી. દરબારી ગેજેટ પ્રગટ કરવાની શરૂઆત કરી. કેળવણીની  અનેક સંસ્થાઓ શરૂ કરી. ઇસવીસન ૧૮૮૭માં ધોરાજીથી પોરબંદરની રેલ્વે બાંધવામાં આવી. ગોંડલ રાજ્ય ઘણું નાનું હતું. તેનું ક્ષેત્રફળ 1024 ચોરસ માઇલ હતું. જેમાં માત્ર 175 ગામ હતા. આમ છતાં ભગવતસિંહજીના સુધારાઓને તેમજ પ્રગતિને કારણે ગોંડલ રાજ્યને  પહેલા વર્ગનો દરજ્જો મળ્યો હતો. પોતાનું રાજ્ય યુરોપના પ્રગતિશીલ ધોરણે એક આદર્શ રાજ્ય બને એ તેમનું જીવનધ્યેય હતું.



આ માટે રાજ્યના છેવાડા સુધીના દરેક ગામે શાળા, દરબારી ઉતારા ,પાકો કુવો ,પાકી સડક તેમજ આજુબાજુના ગામડાઓને સાંકળી લે તે રીતની ટેલીફોનની સગવડ તેમણે કરાવી આપેલી. અન્ય દેશી રાજ્યો પણ ખુદ બ્રિટિશ હુકૂમત તળેના વિસ્તારોમાં પણ આવી અને આટલી સગવડ ન હતી. ઉપરાંત રાજ્યભરમાં તેમણે લાખો વૃક્ષો વવડાવીને પ્રદેશને રળિયામણો કર્યો હતો. અઢાર વર્ષની વયે યુરોપની મુસાફરી દરમિયાન કેમ્બ્રિજની મુલાકાતે જતાં તેમણે રસ્તાની બંને બાજુએ સુંદર વૃક્ષો જોયેલા. તેની વચ્ચેથી જતાં માર્ગનું સૌંદર્ય તેમની આંખમાં વસી ગયેલુ. પોતે વવડાવેલા દરેક ઝાડ પર સંખ્યાંક લગાડી તેનું રજીસ્ટર રખાતું. ભગવતસિંહજી બચપણથી  જ વિચક્ષણ હતા. પ્રત્યેક ચીજવસ્તુ- ઘટના પરત્વે તેમનું આગવું અને મૌલિક દૃષ્ટિબિંદુ હતું. વૃક્ષો ઉછેરવા સંબંધમાં તથા જીવસૃષ્ટિને કુત્રિમ વાતાવરણમાં જીવનભર રાખી તેમની પાસેથી કામ લેવા બાબતમાં ભગવતસિંહજીએ માત્ર અઢાર વર્ષની ઉંમરે યુરોપયાત્રા દરમિયાન નોંધેલી નીચેની વાત તેમનું સ્પષ્ટ દ્રષ્ટિબિંદુ રજૂ કરે છે.

"તારીખ 17મી જૂન ,1883, બપોરે અમે કયુ ગાર્ડન્સ તરફ ગયા . કેટલાક ઉષ્ણ પ્રદેશની વનસ્પતિ માટેના ગૃહો  સુવ્યવસ્થિત હતા તેમજ બધા સ્થાનની સારી સંભાળ લેવાતી હતી, પરંતુ બીજા બાગોની માફક તે મને ગમ્યો નહીં . પ્રત્યેક છોડને પોતાના નૈસર્ગિક વિકાસ માટે અનુકૂળ જમીન તેમજ આબોહવા હોય છે. જુદા જ વાતાવરણમાં થતા છોડને કુત્રિમ ઉપાયો વડે ઉછેરવા તેમજ બળજબરી અને જુલમ વડે તેની પર ફળો પકવવા  એ મારા મનને પ્રશંસાપાત્ર ન લાગ્યુ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે એક ભલે મહત્વનું કાર્ય હોય ,પરંતુ એ બધું છતાં તે સ્વાભાવિક નથી . કુદરત અને કળા માટે મારા ખ્યાલ પ્રમાણે પોત પોતાનાનિરનિરાળા કાર્યો નિર્માણ થયેલા છે. તે બન્નેની વચ્ચે વાજબી અંતર રાખવામાં આવે ત્યાં સુધી જ તેમની ખૂબીઓ જળવાઈ રહે છે.કુદરતની પવિત્ર મર્યાદા ઉપર વિજ્ઞાનને આક્રમણ કરવા દેવામાં આવતા ,મને ભય રહે છે કે ,તે પોતાનું આકર્ષણ ગુમાવશે."

ભગવતસિંહજીએ રાજ્યમાં ખેતીના વિકાસમાં ખૂબ જ રસ લીધો હતો. ખેડૂતોને તેમણે સર્વપ્રકારના કરવેરાથી મુક્ત કર્યા.એ વેળાએ આખા ભારતમાં ગોંડલના ખેડૂત જેટલો સુખી ખેડૂતવર્ગ કોઈ રાજ્યમાં કે બ્રિટીશ હિંદમાં ન હતો. સામાન્ય રીતે દરેક રાજ્ય પોતાની આવક વધારવા જકાત નાખે છે. પરંતુ એમણે જકાત માફ કરી વેપાર - ઉદ્યોગને ઉત્તેજન આપ્યું હતું. કેળવણીના ક્ષેત્ર પર તો તેમણે ખાસ ધ્યાન આપ્યું હતું. તેમણે તૈયાર કરાવેલી વાંચનમાળાના ભાવનામય પાઠો ઉપરથી ,પોતાના પ્રજાજનોને તે કેવી રીતે તૈયાર કરવા માગતા હતા તેનો ખ્યાલ આપે છે. પૂણેની ફર્ગ્યુસન કોલેજને સખાવત કરતી વેળા ગોંડલ રાજ્ય મોકલે તે બે વિદ્યાર્થીઓને દર વર્ષે કોલેજમાં કોઈ ફી વિના મફત દાખલ કરવા તેવી શરત મૂકેલી. તેને પરિણામે તે કોલેજમાંથી ગોંડલના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકેલા.




ભગવતસિંહે  એમના જીવનમાં જે મહત્વના કાર્યો કર્યા તેમાં સૌથી વિશેષ મહત્ત્વનું અને તેમની કીર્તિને ચિરંજીવી બનાવતું કાર્ય તો ભગવદ્ ગોમંડલ નામના કોશના સંપાદનનું છે.ઈસવીસન  1928ના ઓક્ટોબરની પહેલી તારીખે આ કોશનું સંપાદનનું કાર્ય શરૂ થયું હતું. એને માટે એમણે એક સમિતિ નીમી  હતી. તેના મુખ્ય સંપાદક હતા ચંદુલાલ બહેચરદાસ પટેલ. આ કોશ નવ ભાગમાં પ્રગટ થયો હતો. એક સર્વોત્તમ જ્ઞાનકોશ પ્રગટ કરવાની મહારાજા ભગવતસિંહજીની અભિલાષા હતી. તે જ્ઞાનકોશના નવ ભાગ અવિરત છવ્વીસ વર્ષની અખંડ સાધનાના પરિણામરૂપે પ્રગટ થયા. જોડણી , વ્યુત્પતિ, અર્થ ,અર્થના છાયાભેદ, સમાસ વગેરે અનેક વિગતોથી તે સમૃદ્ધ બન્યા. તેમાં અનેક રૂઢિપ્રયોગો પણ આપેલા છે. જયાં - જ્યાંથી નવો શબ્દ મળ્યો ત્યાંથી મેળવી આ શબ્દભંડોળ લગભગ અઢી લાખની સંખ્યાએ પહોંચ્યું હતું. આ માટે જો કોઇ નવો શબ્દ લઈ આવે તો તેને શબ્દદીઠ એક  આનાનું ઇનામ આપવામાં આવતું. આટલો વિપુલ શબ્દભંડાર કે કોશ ગુજરાતી ભાષામાં નથી. આ કોશ  પ્રગટ થતાં જ તેને વિદ્વાનો દ્વારા ખૂબ જ ઉમળકાભેર આવકાર મળ્યો.મહાત્મા ગાંધીજી તેમજ સાક્ષરવર્ય કનૈયાલાલ  મુનશી જેવાએ પણ ભગવદ્ ગોમંડળ  કોશની ભારે પ્રશંસા કરી હતી.

ભગવતસિંહે  અનેક વાર વિદેશ પ્રવાસ પણ કર્યા હતા. 1894માં ભારતીય તબીબી કોંગ્રેસમાં ભાગ લીધા બાદ તેઓ એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં એક વિભાગના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તે માટે તેમણે ઇંગ્લેન્ડ અને રશિયાના પ્રવાસો કર્યા હતા.

ભગતસિંહનું જીવન અતિશય સાદું હતુ.  પ્રયોજન વિના તેઓ રાજ્યની હદ છોડી રાજકોટ જેવા નજીકના સ્થળે કે ભારતમાંય  જતા નહીં. તેમનો પોશાક પણ સાદો હતો. સ્વદેશી સાદો પોશાક તેમણે યુવાવસ્થાથી તે જીવનના અંત સુધી રાખ્યો હતો. ખોરાક પણ તેમનો સાદો અને સાત્વિક હતો . તેમની  સગીર વય દરમિયાન અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર માટે બંધાવેલા નાના બંગલામાં જ આખર સુધી તેમનો આવાસ રહેલો. પોતે નિતાંત કરકસરથી રહેતા  અને દરેક  ખાતામાં પૂરી કરકસરથી કામ થાય તેની કાળજી રાખતા. તેમના સાઠ વર્ષના અમલ દરમિયાન મોટરોનો  ઉપયોગ થવા માંડેલો ,છતાં પોતે વિક્ટોરિયામાં જ ફરતા. 1944માં તેમના રાજ્ય અમલને  સાઠ વર્ષ પૂરા થયા તે પ્રસંગે એક મહોત્સવ યોજાયો હતો. ત્યારે ગુજરાતના નામાંકિત પુરુષોએ તેમને ભાવભરી અંજલિઓ આપી હતી.ગુજરાતમાં ગણ્યાગાંઠયા આદર્શ રાજવીઓ  થઈ ગયા છે તેમાં ભગવતસિંહજી આગલી હરોળમાં છે.


Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)