સતી લોયણ
જીવનકાળ :- ઈ. સ. ૧૬૮૯-૧૭૪૦
પિતા :- વીરા ભગત
વતન :- ગામ કીડી (તા. બાબરા, જિ. અમરેલી)
જ્ઞાતિ :- લુહાર
વિશેષ નોંધ :-
(૧) આટકોટના કામાંધ રાજવી લાખાને અને તેની રાણીને અધ્યાત્મમાર્ગે વાળવા, તેમને સંબોધાયેલાં પદોમાં જ્ઞાન, યોગ અને ભક્તિના સમન્વયરૂપે નિર્ગુણ-ભક્તિનો બોધ
(૨) વેદાંત, ભાગવતાદિ પુરાણો, યોગમાર્ગનો અભ્યાસ કૃતિઓ :- ગુરુમહિમા-જ્ઞાન, ભક્તિ-યોગવિષયક પદો; જનક-ગુરુ-અષ્ટાવક્ર-સંવાદ
કેટલીક સ્મરણીય વાણી
જી રે લાખા નાભિકમળથી પવન ઉલટાવે જી,
ત્યારે સુરત શિખર પર જાવે હાં... જી રે લાખા એવી સુરતા જ્યારે તમારી પ્રગટશે જી,
ત્યારે સંકલ્પવિકલ્પ મટી જાશે હાં... જી રે લાખા મૂળ, લિંગ, નાભિ, હૃદય, કંઠે, ભ્રકુટી જી,
એ સ્થળેથી પ્રાણ જ ચડશે હાં...
જી રે લાખા શેલર્જીની ચેલા સતી લોયણ બોલ્યાં જી,
પ્રાણ આત્મસ્વરૂપમાં ભળશે હાં...
જી રે લાખા દશમી ભક્તિમાં પ્રેમ જગાડો જી,
ત્યારે શૂન્યમાં સુરતા લાગે હાં...
જી રે રાણી સ્મૃતિમાં થયેલ જગત બધું ભાસે જી,
નહિ તો ઘટોઘટ આપે રમે હાં....
જી રે રાણી જદ-અહજદ લક્ષણ ત્યાં ન પહોચે જી,
કાળ નહિ જ્યાં નહિ કાયા હાં...
જી રે રાણી રાગ-ત્યાગ એવી વસ્તુ જ્યાં ન મળે જી,
નહિ ધૂપ નહિ છાયા હાં...